Wednesday, 25 July 2018

ગરેડીયા મહાદેવનું મંદિર

ગરેડીયા મહાદેવનું મંદિર




: શિવજીનું આ મંદિર રાજસ્થાનમાં ચિત્તોડગઢથી કોટા જવાના રસ્તે, ચિત્તોડગઢથી ૧૫૩ કી.મી. અને કોટાથી ૧૭ કી.મી. દૂર ચંબલ નદીને કિનારે આવેલું છે. જમીનથી થોડાં પગથિયાં નીચે ઉતરીને મંદિરમાં જવાય છે. બાજુમાં ગરમ પાણીનો ઝરો છે. અહીં યુ આકારનો વળાંક લેતી ચંબલ નદીનો માહોલ જોવા જેવો છે. એકદમ શાંત વિસ્તારમાં આવેલી આ જગા ગમી જાય એવી છે. (1) બોર્ડ (2) મંદિર (3) ચંબલ નદી (4) અને (5) ચંબલ નદીનો યુ આકારનો વળાંક..

Wednesday, 18 July 2018

બેતાબ વેલી

બેતાબ વેલી



: કાશ્મીરમાં આવેલી બેતાબ વેલી અદભૂત કુદરતી સૌન્દર્ય ધરાવે છે. આ જગા, પહેલગામથી અમરનાથ જવાના રસ્તે ૭ કી.મી. દૂર લીડર નદીને કિનારે આવેલી છે. સની દેઓલ અને અમૃતા સીંગની ફિલ્મ ‘બેતાબ’ નું ઘણું શુટીંગ અહીં થયેલું. તમને તેનું ‘જબ હમ જવાં હોંગે, જાને કહાં હોંગે.......’ ગીત યાદ હશે જ. આ ફિલ્મ પરથી તો આ જગાનું નામ બેતાબ વેલી પડી ગયું. નદી કિનારે બેસીને નદી જોયા કરવાનું બહુ ગમે એવું છે. નદીનું ચોખ્ખું, ઠંડુ અને વહેતું પાણી, કિનારે ગ્રીનરી, ટેકરીઓ અને વૃક્ષો-આ બધું જોઇને અહીંથી ખસવાનું મન ન થાય એટલી સરસ જગા છે. નદીમાં નહાવાની તો ખૂબ મજા આવે, અને નદી કિનારે બાંધેલી કોટેજમાં રહેવાનું હોય તો કેટલું બધું ગમે ! શિયાળામાં અહીં બધે બરફ છવાઈ જાય.
બેતાબ વેલી જોવા માટે એન્ટ્રી ફી રાખેલી છે. અહીં ઘોડેસવારી કરવાની સગવડ છે. ચાલવા માટે ટ્રેક બનાવેલા છે. વેલીની આજુબાજુના વિસ્તારમાં દેવદાર અને પાઈનનાં વૃક્ષો છે. અખરોટના ઝાડ છે. આજુબાજુની ટેકરીઓમાં ‘પર્વતો સે આજ મેં ટકરા ગયા, તુમને દી આવાજ લો મેં આ ગયા ...’ગીતનું શુટીંગ થયું હતું. રહેવા માટે પહેલગામમાં ઘણી હોટેલો છે.
ટુરિસ્ટોની આ મનપસંદ જગા છે. ટ્રેકીંગ કરનારા માટે આ અનુકુળ કેમ્પ સાઈટ છે. ફિલ્મ નિર્માતાઓની આ માનીતી જગા છે. બેતાબ ઉપરાંત, અહીં બીજી ઘણી ફિલ્મો (આરઝુ, કાશ્મીરકી કલી, જબ જબ ફૂલ ખીલે, કભી કભી, સિલસિલા, રોકસ્ટાર વગેરે)નાં   શુટીંગ થયેલાં છે. કાશ્મીર ફરવા આવો ત્યારે પહેલગામથી બેતાબ વેલી જોઈ આવજો. પહેલગામ, અનંતનાગથી ૪૩ કી.મી. અને શ્રીનગરથી ૮૬ કી.મી. દૂર છે.

Tuesday, 17 July 2018

દાર્જીલીંગ ન્યૂ જલપાઈગુડી

દાર્જીલીંગ: પશ્ચિમ બંગાળમાં આવેલા ન્યૂ જલપાઈગુડીથી







રેલ્વે રસ્તે દાર્જીલીંગ જવાય છે. આ અંતર ૮૮ કી.મી. છે. જલપાઈગુડીથી રોડ રસ્તે પણ દાર્જીલિંગ જવાય છે. આ રસ્તો રેલ્વેની બાજુમાં જ છે. ક્યારેક રેલ્વે લાઈન, રસ્તાને ક્રોસ કરે, ફાટક પણ ન હોય. આરાધના ફિલ્મનું ‘મેરે સપનોકી રાણી કબ આયેગી તુ...’ ગીત આ રસ્તે ફિલ્માવાયું હતું. દાર્જીલીંગમાં પીસ પેગોડાનું બુદ્ધ મંદિર, રોપ વે, તીસ્તા નદી, ચાના બગીચા વગેરે જોવાલાયક છે. ટાઈગર હીલ પરથી કાંચનજંઘા પર્વતનું બરફ્છાયું શિખર દેખાય છે. કાંચનજંઘા ભારતનો સૌથી ઉંચો પર્વત (૮૫૯૮ મીટર) છે. તસ્વીરો (૧) જલપાઈગુડી રેલ્વે સ્ટેશન (૨) દાર્જીલીંગ સ્ટેશન (૩) દાર્જીલીંગ જતી ટ્રેઈન (૪) પીસ પેગોડા (૫) રોપ વે (૬) તીસ્તા નદી (૭) ચાના બગીચા (૮) કાંચનજંઘા પર્વતનું દ્રશ્ય

દાર્જીલીંગ

દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળમાં ૨૦૪૨ મીટર (૬૭૦૦ ફૂટ) ઉંચાઇએ આવેલું છે. ન્યૂ જલપાઈગુડીથી રેલ્વે રસ્તે દાર્જીલિંગ જવાય છે. ન્યૂ જલપાઈગુડીથી દાર્જીલિંગ ૮૮ કી.મી. દૂર છે. વચ્ચે સીલીગુડી, ઘુમ વગેરે સ્ટેશનો આવે છે. રસ્તો ચડાણવાળો છે. દાર્જીલિંગ આવવાના ૮ કિમી. બાકી રહે ત્યારે ઘુમ નામનું સ્ટેશન આવે છે. ઘુમની ઉંચાઇ ૨૨૫૮ મીટર છે, એટલે કે દાર્જીલિંગ કરતાં લગભગ ૨૦૦ મીટર વધારે. ઘુમ રેલ્વે સ્ટેશન ભારતનું ઉંચામાં ઉંચું રેલ્વે સ્ટેશન છે. ઘુમથી દાર્જીલિંગ સુધી ઉતરાણવાળો રસ્તો છે. વળી, ઉતરાણ બહુ હોવાથી અહીં રેલવેનો એક લગભગ લંબગોળ આકારનો લૂપ બનાવ્યો છે, તેને બતાસીયા લૂપ કહે છે. અહીં ટ્રેન લંબગોળ રાઉન્ડ પૂરો કરી મૂળ રેલ્વે રસ્તાની નીચે થઈને આગળ વધે છે. આ લૂપ જોવા જેવો છે. લૂપની વચ્ચેના ભાગમાં શહીદ થયેલા ગુરખા જવાનોનું મેમોરીયલ બનાવ્યું છે.








Wednesday, 11 July 2018

સીએટલમાં બીલ ગેટ્સની માઈક્રોસોફ્ટ કંપની વિશે જાણો..



સીએટલમાં બીલ ગેટ્સની માઈક્રોસોફ્ટ કંપની જોવા જેવી છે. વિન્ડો ઓપરેટીંગ સીસ્ટીમના શોધક બીલ ગેટ્સને આખી દુનિયા ઓળખે છે. દુનિયાના સૌથી વધુ ધનિક આદમી પણ એ જ છે. કંપની ખૂબ જ વિશાલ વિસ્તારમાં પથરાયેલી છે. વીઝીટર સેન્ટરમાં, પબ્લીકને જોવા માટે થોડાં આધુનિક કોમ્પ્યુટર મૂકેલાં છે. એમાં તમે કઈ સેલિબ્રિટી જેવા દેખાવ છો, તમારા ચહેરા પરથી તમારી ઉંમર કેટલી લાગે છે, તમારા ચહેરા પર કેવી લાગણીઓ (હાસ્ય, ગંભીર વગેરે) છે, આ બધું તમને જોવા મળે છે. આવી રમત કરવાની પ્રેક્ષકોને મજા આવે છે. કંપનીનો સ્ટોર જોયો. બીજી એક જગાએ, બીલ ગેટ્સ પોતે જ્યાં બેસે છે, તે બિલ્ડીંગ જોયું. આ બધું જોવામાં એક રોમાંચ અનુભવ્યો.

Tuesday, 10 July 2018

અમરનાથ યાત્રા

દર વર્ષે અમરનાથ યાત્રા યોજાતી હોય છે. આ વર્ષે પણ ૨૭ જૂનથી આ યાત્રા શરુ થઇ ગઈ. અહીં ગુફામાં શિવજીનું બરફનું લીંગ બને છે. એના દર્શને લોકો જાય છે. અમરનાથની ગુફા કાશ્મીરના પહેલગામ નગરથી ૪૮ કી.મી. દૂર આવેલી છે. પહેલગામથી ચંદનવાડી, શેષનાગ અને પંચતરણી થઈને અમરનાથ જવાય છે. હવે ચંદનવાડી સુધી પાકો રસ્તો બની ગયો છે, ત્યાંથી બાકીનું ૩૨ કી.મી. ઠંડીમાં પહાડી માર્ગે ચાલીને, ઘોડા પર કે ડોળીમાં બેસીને જવું પડે છે. આતંકવાદીઓનો ભય રહે છે. સોનમર્ગ નજીકના બાલતાલથી પણ અમરનાથ જવાય છે. આ અંતર ૧૬ કી.મી. છે. હેલીકોપ્ટર સેવા પણ ઉપલબ્ધ છે.






Monday, 9 July 2018

ગંગા નદીનું મૂળ




આપણે નાના ચાર ધામની યાત્રામાં હરિદ્વારથી પર્વતીય માર્ગે ગંગોત્રી સુધી જતા હોઈએ છીએ. અહીં સુધી વાહનો પણ આવી શકે છે. ભાગીરથી (ગંગા) નદીનું મૂળ અહીંથી હજુ ૧૮ કી.મી. આગળ ગૌમુખ આગળ છે. અહીં ગંગા નદી ગાયના મુખ જેવી બખોલમાંથી નીકળે છે. ગૌમુખથી આગળ તપોવનનું મેદાન અને એની યે આગળ ગંગોત્રી ગ્લેશીયર –ત્યાંથી બરફ પીગળીને તેનું પાણી ગૌમુખ આગળ આવે છે. સાહસિક ટ્રેકરો ગંગોત્રી ગ્લેશીયરથી યે આગળ આવેલાં બરફીલાં શિખરો પણ સર કરતા હોય છે. (૧) ગંગોત્રી આગળ ભાગીરથી નદી (૨) ગંગોત્રી મંદિર (૩) ગૌમુખ (૪) ગ્લેશીયર અને શિખરો